Infolinks in Text ads

Ads

શુક્રવારે ભરબપોરે દહેગામના બજારમાં થઈ દોડધામ



શુક્રવાર બપોરે દહેગામના બજાર અને શાક માર્કેટમાં દોડભાગ અને ભાગમભાગના દ્રશ્યો સર્જાયા હતા. અચાનક સર્જાયેલી આ નાસભાગ પાછળ જવાબદાર દહેગામ નગરપાલિકા દ્વારા કરાયેલી દબાણ હટાવ અભિયાનની શરુઆત હતી. વાત જાણે એમ છે કે દહેગામમાં છેલ્લા કેટલાય સમયથી ટ્રાફીકની સમસ્યા વકરી રહી છે. જ્યાં ને ત્યાં આડેધડ પાર્ક કરાતા વાહનો અને ઠેર ઠેર રસ્તાઓ પર સરકારી જમીનોમાં ઉભા કરાયેલા દબાણોના લીધે અનેક વખત જામની સ્થિતી સર્જાય છે અને તેનાથી સમગ્ર દહેગામવાસીઓ પરેશાન થતા હોય છે. દહેગામને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે દહેગામ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવા માટે પગલા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.



નગર પાલિકા દ્વારા સવારથી જ રસ્તાઓ પર લારી ગલ્લા ઉભા કરીને સરકારી જમીન પર કબ્જો જામાવનારાઓને તેમના ગલ્લા હટાવી લેવા સમજાવી દેવાયુ હતુ. રીક્ષા દ્વારા કરાયેલી જાહેરાતમાં સહુને જો રસ્તા પર ટ્રાફીકને નડે તે રીતે સાધન કે ગલ્લા ઉભા કરાયા હશે તો તેને હટાવી લેવા કહેવાયુ હતુ જો કે તેની કોઈ અસર ન જણાતા બપોર સુધીમાં દબાણ હટાવવા માટેની ટીમ પોલીસ પાર્ટી સાથે દહેગામના બજારમાં પહોંચી ગઈ હતી અને દબાણ હટાવવાની શરુઆત કરી હતી જેના પગલે દહેગામના બજારોમાં ભાગદોડ જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે દહેગામના રસ્તાઓ પર લારી ગલ્લા લઈને ઉભા રહેતા લારી વાળાઓ પાસેથી તેઓ જે દુકાનની સામે ઉભા રહે તે દુકાનવાળા પણ ભાડા પેટે ૫૦ થી ૧૦૦ રુપિયા રોજના ઉઘરાવતા હોય છે. દહેગામ નગર પાલિકાના આ પગલા અંગે લોકોમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે કેટલાક તેને આવકાર દાયક ગણાવી રહ્યા છે તો કેટલાક કોઈની રોજી રોટી પર લાત મારવા સમાન ગણી રહ્યા છે. અલબત લાંબા સમય પછી દબાણના મામલે જાગેલી નગરપાલિકા કેટલા સમય સુધી જાગૃત રહે છે તે જોવુ પણ રસપ્રદ બનશે.સાથે જ નવા દબાણ ન થાય એ માટે કેટલી સતર્કતા જળવાય છે તેના પર જ આ અભિયાનની સફળતાનો આધાર ગણાશે.

દહેગામ નગરપાલિકાના આ પગલા વિશે જણાવો આપનો મત નીચે કમેન્ટ બોક્સમાં

Comments